ફરી શકતો નથી-કુમાર જૈમિની શાસ્ત્રી

એક એકલતા મને તારા સુધી લઈ જાય છે,
પણ પછી હું એકલો પાછો ફરી શકતો નથી.

તું કહે તો યાર સાતે સાગરો ખેડી શકું,
માત્ર તારી આંખમાં સહેજે તરી શકતો નથી.

કાળના ખાલીપણાનો પણ પુરાવો એ જ કે-
કોઈના અવકાશને ક્યારેય ભરી શકતો નથી.

તું જશે તો આ જગત જાણી જશે તારા વગર,
હું જીવી શકતો નથી ને હું મરી શકતો નથી.

સ્વપ્ન છું કે અશ્રુ છું બસ આ દ્વિધાને કારણે,
બોજ છું પાંપણ ઉપર, તો પણ સરી શકતો નથી.

( કુમાર જૈમિની શાસ્ત્રી )

માધવને પ્રશ્ન-દિનેશ ડોંગરે

ગોકુળમાં ઝૂરતી રાધા ને
મીરાં થઈ છે દીવાની મેવાડમાં,
મથુરામાં માધવને પૂછો કે કેટલાં
શમણાં છે પાંપણની આડમાં ?

રાધાનાં શમણાં થઈ જાયે સાકાર
પછી મીરાંની ભક્તિનું શું ?
મીરાં ધારોકે કરે વૈતરણી પાર
તો રાણાની આસક્તિનું શું ?

ક્યારેક આંગળીએ ઊંચકો ગોવર્ધન
ક્યારેક જઈ બેસો છો પહાડમાં
મથુરામાં માધવને પૂછે કે કેટલાં
શમણાં છે પાંપણની આડમાં ?

ગોધૂલી ટાણે ઝાલર બજે ને
પછી વાંસળીના સૂર રેલાય,
ગોકુળ, મથુરા, વૃન્દાવન, દ્વારકા
બધે તારી જ ફોરમ ફેલાય.

રાધા ને મીરાં તો જીભે ચઢી
સોળ-સહસ્ત્ર ધબકે છે નાડમાં…
મથુરામાં માધવને પૂછે કે કેટલાં
શમણાં છે પાંપણની આડમાં ?

( દિનેશ ડોંગરે )

સુવાસ લૈ-મનીષ પરમાર

શબ્દ આવ્યા હોય તારા શ્વાસ લૈ,
આ હવા તારી ફરે સુવાસ લૈ.

પાંપણો ખૂલી રહી અંધારમાં,
ક્યાં ગયા છો આંસુનો અજવાસ લૈ ?

થોડુંક નીચે નમ્યું’તું ડાળ પર,
પંખી તો ઊડી ગયું આકાશ લૈ.

તોય હું મૃગજળ સુધી પહોંચ્યો નહીં-
કેટલા જનમોની જૂની પ્યાસ લૈ.

દાટવાને ક્યાંય મળતી ક્યાં જગા ?
ક્યારનો ઊભો હતો હું લાશ લૈ.

( મનીષ પરમાર )

શીરીં નથી-ચીનુ મોદી

શીરીં નથી ને ક્યાંય તે ફેરફાર પણ નથી,
સાકી નથી, સુરા નથી, ‘ઈર્શાદ’ પણ નથી.

પંખીની આંખો ખૂલી, આકાશ ના દીઠું,
પાંખોને તે વાતની ફરિયાદ પણ નથી.

આંસુનાં પૂર આવતાં એ નદી નથી,
કોણે કહ્યું કે દેશમાં વરસાદ પણ નથી.

મારા ઘરેથી તારા ઘરે આવતા લગી,
નડતર હતાં કે ન હતાં, યાદ પણ નથી.

હાથે પગે બેડી છે ને શ્વાસ પર સાંકળ,
ફાંસીની સજા છે અને જલ્લાદ પણ નથી.

( ચીનુ મોદી )

પ્રશ્ન સાચો છે-એસ. એસ. રાહી

સૂરજ ઊગ્યા પછી શાને ઢળે છે ? પ્રશ્ન સાચો છે,
ને શાને ચાંદને કેવળ મળે છે ? પ્રશ્ન સાચો છે.

તું બારીમાં ચણાવે ભીંત તો લોકો મને પૂછે,
‘કયા હેતુથી તમને સાંકળે છે ?’ પ્રશ્ન સાચો છે.

હૃદયના શંખનાદો તું નથી જો સાંભળી શકતી,
તો મારું મૌન ક્યાંથી સાંભળે છે ? પ્રશ્ન સાચો છે.

સરોવરની સપાટી પર નીરવતા ગાય છે ગીતો,
ને તળિયું છીછરું કાં ખળભળે છે ? પ્રશ્ન સાચો છે.

દીવાઓ પણ નથી બળતા ને અજવાળું થયું છે ગુમ,
ને આખી રાત કાં માચીસ બળે છે ? પ્રશ્ન સાચો છે.

( એસ. એસ. રાહી )

તો પછી શું કરો તમે ?-એસ. એસ. રાહી

ભીંતો જ ખળભળે તો પછી શું કરો તમે ?
બારીને કળ વળે તો પછી શું કરો તમે ?

અધમણ લઈને બાજરો બેઠા છો તમે પણ,
ઘંટીના પડ ગળે તો પછી શું કરો તમે ?

ચહેરો છુપાવવાના કરો યત્ન તમે પણ,
પરદાઓ ટળવળે તો પછી શું કરો તમે ?

શઢનો ને હલેસાનો ભરોસો કરો વધુ,
જો નાવ ઊછળે તો પછી શું કરો તમે ?

મંઝિલ નજીક હોય ને પહોંચાય તરત પણ,
રસ્તો જ ખુદ વળે તો પછી શું કરો તમે ?

( એસ. એસ. રાહી )

અંતિમ શ્વાસ-કૃષ્ણ દવે

ઘાયલોની મુલાકાતે અતિ ઉત્સાહભેર દોડી આવેલ તેઓશ્રીને
લેવાઈ રહેલા એક અંતિમ શ્વાસે કહ્યું, આપ થોડાક મોડા પધાર્યા હોત તો !!

મારે અંતિમ વખત ચૂમી લેવી હતી નાની નાની હથેળીઓને,
મારે છેલ્લી વખત જોઈ લેવો હતો સિંદુરના રંગમાં ઓગળી જતો એક ચહેરો,
મારે છેલ્લી વખત સ્પર્શી લેવી હતી ભાંગી પડેલી એ લાકડીને,
મારે મારો અંતિમ શ્વાસ લેવોહતો એ જ હુંફાળા ખોળામાં.

અફસોસ ! મારા અંતિમ સમયે જ મારા પરિવારના
ડૂસકાં ધકેલાઈ ગયા ખાખી દીવાલોની પેલે પાર !!

હું સમજી શકું છું મારા મૃત્યુ કરતાં આપશ્રીની સુરક્ષા વધારે કીમતી છે.

પરંતુ આપ થોડાક મોડા પધાર્યા હોત તો !!

( કૃષ્ણ દવે )

તારા મનમાં આવું-ચીનુ મોદી

‘હા’ કહે તો આજ તારા મનમાં આવું,
હું રજેરજની કથાઓ કહી બતાવું.

ખૂબ છેટું આપણી વચ્ચે પડ્યું છે,
છો ને ગાઢું ધુમ્મસ છે, એને હટાવું ?

તું હવાની પાતળી છે ભીંત નક્કર,
એક નાની અમથી ત્યાં બારી મુકાવું ?

ચંદ્ર આવ્યો ને કિનારા ના ભીંજાયા,
હું ઉછાળા મારતાં પાણી કરાવું ?

આપનો ‘ઈર્શાદ’ કાયમનો ઋણી છે,
પાનખરમાં પાંદડું ડાળે લગાવું ?

( ચીનુ મોદી )

શું છે ?-એસ. એસ. રાહી

ભીંતો જ ચોતરફ હો તો આરપાર શું છે ?
ખડકી પૂછે ગલીને કે બારોબાર શું છે ?

અત્તરનાં ફૂલ જ્યારે ડાળી ઉપર ઝૂકે તો,
પૂછે પવન તરત કે ખુશબોનો ભાર શું છે ?

નફરત કરે છે તેને પજવે છે પ્રશ્ન એક જ,
મજનૂની વારતામાં આ પ્યારબ્યાર શું છે ?

હું પ્રેમની પછેડી વણતો રહું નિરંતર,
પણ ફરફરે પવનમાં એ તારતાર શું છે ?

તું કોઈ પણ પ્રહરમાં ગાજે ઉલટથી ગીતો,
મહોલ નહિ પૂછે કે દીપક-મલ્હાર શું છે ?

હું તો અગમનિગમની વાતોને કેમ સમજું,
આ પાર તું નથી તો પેલે પાર શું છે ?

શેખે કહ્યું નહીં તો દરવેશને પૂછી લ્યો,
જીવનનો મંત્ર શું છે ? મૃત્યુનો સાર શું છે ?

વીંઝાય તેની પહેલાં બે વાર એ વિચારે,
તલવારને ખબર છે લોહીની ધાર શું છે ?

ગ્રંથોમાં ‘રાહી’ સાચા ઉત્તર કદી મળ્યા નહિ,
શ્રદ્ધા કે આસ્થા કે આ ઐતેબાર શું છે ?

( એસ. એસ. રાહી )

પંખીપણું-કૃષ્ણ દવે

એક પણ વળગણ નથી ને ? એટલે તો પંખીઓની જેમ ઊડી જઈ શકું છું,
સહેજ પણ સમજણ નથી ને ? એટલે તો પંખીઓની જેમ ઊડી જઈ શકું છું.

એ જરૂરી છે જ નહીં કે
રોજ એની એ જ ડાળી પર ફરી પાછા જવું, ને આમ મારે-
કોઈ એક જ ઘર અને આંગણ નથી ને ?
એટલે તો પંખીઓની જેમ ઊડી જઈ શકું છું.

એક ભીનો આવકારો આંખમાં રોપી
લીલીછમ રાહ જોતા વૃક્ષની પાસે જવાના-
આવવાના કોઈ પણ કારણ નથી ને ?
એટલે તો પંખીઓની જેમ ઊડી જઈ શકું છું.

પંથ આખો છે હવાનો એટલે હળવા થવાનો,
ને જુઓ આ પંથ માટે-
કોઈ નિયમો કોઈ બંધારણ નથી ને ?
એટલે તો પંખીઓની જેમ ઊડી જઈ શકું છું.

આ ગણતરીના લબાચાને અહીં નીચે મૂકી ને
પાંખ બે વિશ્વાસની પહેરી જરા ઊડી જુએ ને તો જ-
સમજાશે તને કે ક્યાંય પંખીપણામાં એક બે કે ત્રણ નથી ને?
એટલે તો પંખીઓની જેમ ઊડી જઈ શકું છું.

( કૃષ્ણ દવે )